કચ્છખબરડૉટકોમ, કોઠારાઃ અબડાસાના સુથરીના દરિયાકાંઠે ફરવા ગયેલાં યુવાન યુગલનું ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું છે. આજે સાંજે સાતેક વાગ્યાના અરસામાં દુર્ઘટના સર્જાઈ હતી. કોઠારા પોલીસે જણાવ્યું કે મરણ જનાર પ્રભુદેવ આનંદદેવ ઓઝા (ઉ.વ. ૨૭) તેની પત્ની નેહલ (ઉ.વ.૨૬) અને અન્ય સહકર્મીઓ મળી આઠેક જણ સાથે સુથરીકાંઠે ફરવા ગયો હતો. અચાનક દરિયાનું એક વિશાળ મોજું તેની પત્નીને તાણીને લઈ ગયું હતું. પત્નીને તણાતી જોઈ પ્રભુદેવે તેને બચાવવા દરિયામાં ઝંપલાવ્યું હતું. પરંતુ, બેઉ જણના ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં હતાં. મૃતક પ્રભુદેવ નલિયાસ્થિત ઈન્ડિયન એરફોર્સ બેઝમાં ફ્લાઈટ લેફ્ટનન્ટ તરીકે નોકરી કરતો હતો અને મૂળ સિકંદરાબાદનો રહેવાસી હતો. ઘટના અંગે મોડી રાત્રે દસ વાગ્યે જાણ થતાં કોઠારા પીએસઆઈ વાય.પી. જાડેજાએ એક્સિડેન્ટલ ડેથની નોંધ પાડી તપાસ હાથ ધરી છે.
Share it on
|