કચ્છખબરડૉટકોમ, ભુજઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે બપોરે આફ્રિકાના નૈરોબીમાં વસતા કચ્છી સમાજના લોકોને સંબોધન કર્યુ હતું. કચ્છી ભાષામાં પોતાના ઉદબોધનની શરૂઆત કરી વડાપ્રધાને આફ્રિકા અને કેન્યાના વિકાસમાં કચ્છીમાડુઓનો મોટો ફાળો હોવાનું જણાવ્યું હતું. નૈરોબીમાં શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજના વેસ્ટ કોમ્પ્લેક્ષના 25 વર્ષની પૂર્ણાહૂતિ નિમિત્તે આયોજીત રજત જયંતી મહોત્સવ અંતર્ગત પીએમ મોદીના વિડિયો કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. પોતાના સંબોધનમાં મોદીએ પૂર્વ આફ્રિકાના વિકાસમાં કચ્છી લેઉવા પટેલ સમાજના વિકાસનું પ્રદાન સવાસો વર્ષ જૂનું હોવાનું જણાવ્યું હતું. આફ્રિકા અને કેન્યાના વિકાસમાં કચ્છીઓનો મોટો ફાળો હોવાનું જણાવી મોદીએ જે રીતે સ્કુલ, હોસ્પિટલ અને વ્યાજબી કિંમતે ઘર બનાવવાનું કામ હાથ ધરાયું છે તેને પ્રશંસનીય ગણાવી કેન્યાના અંતરિયાળ વિસ્તારોમાં થઈ રહેલાં ચેરીટી કાર્યક્રમોની સરાહના કરી હતી. કેન્યાની આઝાદીમાં ભારતીયોના ત્યાગ અને બલિદાનનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. જ્યાં જ્યાં કચ્છી વસે ત્યાં ત્યાં આપોઆપ કચ્છ બની જાય છે તેમ જણાવીને તેમણે પ્રવાસી ભારતીયોને સાચા રાષ્ટ્રદૂત ગણાવ્યાં હતા.
Share it on
|