કચ્છખબરડૉટકોમ, ભુજઃ રાજ્યના સરકારી કર્મચારીઓના સૌથી મોટા સંગઠન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ (માન્યમંડળ) ના હાઇ વોલ્ટેજ ચૂંટણી જંગમાં ફરી એક વખત પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ જાડેજા(જામનગર) તથા મહામંત્રી તરીકે સતીશ પટેલ( અરવલ્લી)નો વિજય થયો છે. બે વર્ષ અગાઉ આ જ જોડીએ પ્રમુખ તથા મહામંત્રી તરીકે અનુક્રમે રામશી પંપાણિયા (ગિર સોમનાથ) તથા ગિરિશ પટેલ ( સાબરકાંઠા)ને હારનો સ્વાદ ચખાડયો હતો. આજે ગાંધીનગર ખાતે યોજાયેલ ચૂંટણીમાં હાજર રહેલા કચ્છના શિક્ષક અગ્રણી તથા પ્રદેશ સંઘના ઉપાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ગાંધીનગર મુકામે સવારે ચૂંટણી યોજાઇ હતી તથા બપોર બાદ મતગણતરી યોજાઇ હતી. કુલ 500 મતદારો પૈકી 494 મતદારોએ મતદાન કરતા મતદાનની ટકાવારી 98.80% જેટલી રહી હતી. કચ્છ જિલ્લાના 23 મતદારો પૈકી તમામ 23 જણાએ પોતાના મતાધિકારનો પ્રયોગ કરતા કચ્છ જિલ્લાનું 100% મતદાન થયું હતું. કોર્ટના આદેશના પગલે બનાસકાંઠા જિલ્લાના 23 મતદારોએ કરેલ મતદાનને અલગ મતપેટીમાં સીલ કરાયું છે જેની જરૂર પડયે ગણતરી તા. 21/2 ના થાશે. આજે જેમણે મતદાન કર્યું છે. તેમાં દરેક જિલ્લા સંઘોના પ્રમુખ તથા મહામંત્રી ઉપરાંત રાજ્ય પ્રતિનિધિઓ કે જે રાજ્ય કારોબારીના સદસ્યો છે એમનો સમાવેશ થાય છે. બનાસકાંઠા શિવાયના મતોની આજે ગણતરી કરાતા કુલ 471 મતો પૈકી પ્રમુખના ઉમેદવાર દિગ્વિજયસિંહ જાડેજા(જામનગર)ને 254 મત તથા તેમના હરિફ સાબરકાંઠાના ગિરિશ પટેલને 214 મત મળતા પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ જાડેજાનો 40 મતે વિજય થયો હતો. 3 મત રદ થયા હતા. આ જ રીતે મહામંત્રીની ચૂંટણીમાં અમદાવાદના નરેન્દ્ર ગોહેલને 225 મતો જ્યારે સતીશ પટેલ(અરવલ્લી) ને 245 મતો મળતા 20 મતોથી મહામંત્રી તરીકે સતીશ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. 1 મત રદ થયો હતો.ધારણા મૂજબ જ આ યુવા પેનલે પીઢ તથા અનુભવી પેનલને શિકસ્ત આપી હતી. સાંજે ગાંધીનગર ખાતે બન્ને વિજેતા ઉમેદવારોનું દરેક જિલ્લા સંઘના આગેવાનોએ સન્માન કર્યુ હતું. નવનિયુક્ત બન્ને પ્રમુખ તથા મહામંત્રીએ પુનઃ તેમનામાં વિશ્વાસ રાખવા બદલ રાજ્યના તમામ મતદારોનો આભાર માની પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ખાત્રી ઉચ્ચારી હતી.
Share it on
|