કચ્છખબરડૉટકોમ, બ્યૂરૉઃ ભ્રષ્ટાચારના વધુ એક કેસમાં જેમની ધરપકડ થયેલી છે તે કચ્છના પૂર્વ કલેક્ટર અને સસ્પેન્ડેડ આઈએએસ ઑફિસર પ્રદીપ શર્માની નિયમિત અને વચગાળાની જામીન અરજી ભાવનગર કૉર્ટે ફગાવી દીધી છે. ભાવનગરમાં પોતાના કમિશનર તરીકેના કાર્યકાળ દરમિયાન આલ્કોક એશડાઉન લિમિટેડના એક કોન્ટ્રાક્ટરના બીલની રકમ મંજૂર કરવા પેટે શર્માએ 25 લાખની લાંચ લીધી હતી તેવો આરોપ મુકી તાજેતરમાં એસીબીએ શર્માની ધરપકડ કરી હતી. મની લૉન્ડરીંગના કેસમાં જામીન મુક્તિ થયાના ગણતરીના કલાકોમાં એસીબીએ આ કેસ હેઠળ શર્માની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ શર્માએ આગામી 30 માર્ચના રોજ તેમના પુત્ર પ્રશાંતના અમેરિકામાં લગ્ન હોઈ ભારતમાં પોતાના સ્નેહીજનો સાથે બેસીને વિડિયો કોન્ફરન્સીંગથી લગ્નવિધિ નિહાળવા માટે 24 માર્ચથી 31 માર્ચ સુધી વચગાળાના જામીન પર મુક્ત કરવા કૉર્ટમાં અરજી કરી હતી. તેમણે નિયમિત જામીન અરજી કરી તેના બે દિવસ બાદ વચગાળાની જામીન અરજી કરી હતી. જો કે, કૉર્ટે નિયમિત જામીન અરજીમાં જ આ કારણ દર્શાવવાની જરૂર હતી તેમ જણાવી બંને જામીન અરજી ફગાવી દીધી છે. દરમિયાન, એસીબીએ કરેલાં ભ્રષ્ટાચારની ફોજદારી ફરિયાદ રદ્દ કરતી શર્માની ક્વૉશીંગ પિટીશન સંદર્ભે ગુજરાત હાઈકૉર્ટે ગુજરાત સરકારને સોગંદનામું રજૂ કરવા જણાવ્યું છે.
Share it on
|