કચ્છખબરડૉટકોમ, ભેરૈયાઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા માંડવીના ભેરૈયા ગામે યોજાયેલી જાહેરસભામાં પાટીદાર સમાજના આઈકોન હાર્દિક પટેલે કોઈપણ ભોગે અનામત લઈને જ રહીશું તેવો હુંકાર કરી પાટીદારોને એક થઈ ભાજપને પાડી દેવા હાકલ કરી છે. ભરચક મેદનીને સંબોધતાં હાર્દિક પટેલે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને થઈ રહેલાં અન્યાય અને પાટીદારો પર ગુજારાયેલાં અત્યાચારના મુદ્દાઓનો ઉલ્લેખ કરી રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહારો કરી તેમના પર થયેલાં અત્યાચારનો જવાબ આપવા હાકલ કરી ભેરૈયાની જનસભામાં મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજ ઉમટી પડ્યો હતો. તો, લેવા પટેલ સમાજના કેટલાંક આગેવાનોની હાજરીને પણ સૂચક ગણાવાઈ હતી. વિધાનસભા ચૂંટણી સંદર્ભે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આયોજીત જાહેર સભામાં ભાગ લેવા આવી પહોંચેલા હાર્દિક પટેલે ભુજમાં સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યાં હતા. બાદમાં દેશલપર વાંઢાય ખાતે ઉમિયા માતાના મંદિરે દર્શન કરી પત્રકારો સમક્ષ વિવિધ મુદ્દે વાત કરી હતી. હાર્દિકે કચ્છની જનતાને શાંત ગણાવી મોટાભાગના એનઆરઆઈ હોઈ પાટીદાર અનામત આંદોલનની ઓછી અસર હોવાનું પરોક્ષ રીતે સ્વિકારતાં અનામત આંદોલન વખતે કચ્છમાં વિવિધ તાલુકાઓમાં થયેલી રેલીઓનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, મારી સાથે તમામ સમાજના લોકો જોડાયેલાં છે. ખેડૂતના પેટે જન્મ્યાં છીએ ને ખેડૂતોના મુદ્દાની વાત કરવા આવ્યો છું તેમ જણાવી હાર્દિકે પીજીવીસીએલ દ્વારા ખેડૂતો પર થતાં ખોટા કેસો, પેટા કેનાલોમાંથી ખેડૂતોને પાણી ના મળતું હોવાનું તેમજ એકપણ ખેડૂતને વીમો ના મળ્યો હોવાનું જણાવ્યું હતું. કચ્છમાં કેટલાંક સ્થળે થયેલા વિરોધ સંદર્ભે હાર્દિકે હળવાશથી કટાક્ષ કરતાં કહ્યું હતું કે, મારો વિરોધ કર્યો એટલે ટીવીમાં આવશે અને લોકોને ખબર પડશે. ભાજપ દ્વારા તેને કોંગ્રેસનો એજન્ટ ગણાવાઈ રહ્યો હોવા મુદ્દે તેણે કહ્યું હતું કે, ભાજપને કોઈએ ગુજરાત સાત બારમાં લખી નથી આપ્યું. કોઈ સમાજના હિત માટે વિપક્ષ કંઈ કરતો હોય તો લોકો તેની સાથે જોડાય તે સ્વાભાવિક છે. હું તો હજી કોંગ્રેસમાં જોડાયો નથી ને આવી વાતો કરે છે ત્યારે હું જોડાઈશ તો કેવું થશે? તેમ જણાવી તુરંત જ વાતને વાળી લેતાં હાર્દિકે જણાવ્યું હતું કે, હું તો ત્રણ વરસ માટે ક્યાંય કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી. હું ખેડૂતો, સમાજ અને યુવાનો માટે કામ કરવું ઈચ્છું છું. ભેરૈયાની સભાને ખેડૂતો માટેની સભા ગણાવી આ સભા તમામ સમાજના ખેડૂતોની હોવાનું જણાવી હાર્દિકે કચ્છના રસ્તા સસર હોવાનું જણાવી કચ્છનો વિકાસ લોકોની મહેનતના પ્રતાપે થયો હોવાનું કહ્યું હતું. માધાપર-સુખપરના લોકો સરકારને લોન આપી શકે તેવા સક્ષમ હોવાનું જણાવી વિકાસને સ્વાભાવિક પ્રક્રિયા ગણાવતાં કહ્યું હતું કે લોકો ધોતીયામાંથી જીન્સ પહેરતાં થયાં તે વિકાસ મોદીએ આપેલા બસ્સો રૂપિયાના ચેકમાંથી નથી થયો. હાર્દિક પટેલની કથિત સેક્સસીડી અંગે આરોપબાજી કરનારાં અશ્વિન પટેલને પોતે ઓળખતો સુધ્ધાં ના હોવાનું જણાવી હાર્દિકે આગામી દિવસોમાં પણ કચ્છમાં આવતો રહેશે તેવો નિર્દેશ આપ્યો હતો. પોતાની પાછળ સુરક્ષા માટે લગાવાયેલા પોલીસ કાફલાનો ઉલ્લેખ કરી હાર્દિકે આટલી પોલીસ નલિયાકાંડના આરોપીને પકડવામાં લગાડી હોત તો તેમ કટાક્ષ કર્યો હતો. કચ્છની શાંત જનતાને બહાર નીકળી આ વખતે બેથી ત્રણ બેઠકો આવે તેવા પ્રયાસો કરવા હાર્દિકે અનુરોધ કર્યો હતો.
Share it on
|