કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામે કેમિકલનો ઉપયોગ કરી ભારતીય બનાવટનો નકલી વિદેશી શરાબ બનાવવાની ફેક્ટરી ઝડપાતાં પોલીસ તંત્ર અને ખુદ પ્યાસીઓમાં પણ ચકચાર મચી ગઈ છે. ગત મધરાત્રે આદિપુર પોલીસે અંતરજાળમાં શીતળા માતાના મંદિર પાસે બાલાજી સોસાયટીના રહેણાંક મકાનમાં દરોડો પાડી નકલી શરાબ બનાવવાનું કારસ્તાન પકડી પાડ્યું હતું. પોલીસે મકાનમાંથી રોયલ સ્ટેગ બ્રાન્ડના નકલી શરાબની 40 પેટી (490 નંગ બોટલ, કિંમત અંદાજે 1.47 લાખ) ઉપરાંત ખાલી બોટલો, ખોખા, સ્ટિકર, ઢાંકણા, કેમિકલ ભરેલાં પ્લાસ્ટિકના પાંચ કેરબા, નળી, સગડી, ઈલેક્ટ્રીક મોટર, હથોડી વગેરે જેવો નકલી દારૂના ઉત્પાદન અને પેકીંગ માટે વપરાતા સાધનો સહિત કુલ 2.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન સુરેશ કરસન ચાવડા (આહીર) અને રાજુ પ્રજાપતિ નામનાં બે શખ્સો છૂ થઈ ગયાં હતા. આદિપુર પીએસઆઈ જી.એમ.હડિયાએ કચ્છખબરને જણાવ્યું કે, સુરેશ કરસન ચાવડા હિસ્ટ્રીશટર છે. તેની સામે શરાબના વેચાણ-હેરાફેરીના સંખ્યાબંધ ક્વોલિટી કેસ ચોપડે ચઢેલાં છે. પોલીસે આ બંને આરોપીને ઝડપી લેવા ચોમેર શોધખોળ હાથ ધરી છે.
ઈથેનોલમાંથી શરાબ બનતો હોવાનું અનુમાન, કેમિકલના સેમ્પલ FSL મોકલાયાં
આદિપુર પીએસઆઈ હડિયાએ કચ્છખબરને જણાવ્યું કે, જે પાંચ કેરબા ભરેલું કેમિકલ ઝડપાયું છે તે કેમિકલના પાંચ નમુના લઈ રાજકોટની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપ્યાં છે. આ કેમિકલ શું છે અને માનવ વપરાશ માટે તે કેટલું જોખમી છે તે અંગે પોલીસે FSLનો અભિપ્રાય માંગ્યો છે. પોલીસના મતે આ કેમિકલ ઈથેનોલ જેવું જણાય છે. અલબત્ત, FSLના રીપોર્ટ શું આવે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.
Share it on
|