કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસા અને આદિપુરના શિણાયમાં મુસ્લિમ ધર્મસ્થાનોમાં તોડફોડ-આગચંપી કરવાના બનાવો અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસે એસપી બાદ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે. આજે આ બનાવના વિરોધમાં મુસ્લિમ સમાજે રેલી યોજી તેની સમાંતર કોંગ્રેસે અબડાસાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી ધાર્મિક સ્થાનોને નુકસાન કરતાં તત્વોને ઝડપી પાડવા રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ બાબતે અગાઉ અબડાસા ધારાસભ્ય રજૂઆત કરી ચૂક્યાં છે. તો, કચ્છ જિલ્લા કોંગ્રેસ જિલ્લા પોલીસ વડાને લેખીત પત્ર પાઠવી ચૂકી છે. કચ્છ જિલ્લો શાંતિપ્રિયતા અને ભાઈચારા માટે પ્રખ્યાત છે. ત્યારે, ધાર્મિક સ્થળોને નુકસાન કરતાં અસામાજિક તત્વો ઝડપથી પકડાય અને તેમની સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, વિપક્ષી નેતા વી.કે.હુંબલ, નવલસિંહ જાડેજા, રસિક ઠક્કર, જયવીરસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, રવિ ત્રવાડી, હઠુભા સોઢા, મમુભાઈ આહીર, કિશોરસિંહ જાડેજા, રફિક મારા, ગની કુંભાર, રઝાક ચાકી, અનિલ જોશી વગેરે આગેવાનોએ એકઠાં થઈ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.
Share it on
|