કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજાર નજીક મેઘપર બોરીચીની કેનાલ પાસે જીનસ કંપની નજીક રસ્તા પર છરીની અણીએ યુવકની નિર્મમ હત્યા કરી દેવાઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે. સવારે સાડા વાગ્યાના અરસામાં યુવકની રસ્તા પર પડેલી લાશ જોઈ સ્થાનિક લોકોએ અંજાર પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો રસ્તા પર છરીના ઘાથી રહેંસી નખાયેલા યુવકની લાશ પડી હતી. બાજુમાં 770 નંબરની મૃતકની મોટર સાયકલ પડી હતી. હત્યારાઓએ પેટમાં છરીના ઘા માર્યાં હોઈ મરનારના આંતરડા બહાર નીકળી ગયાં હતા. પ્રાથમિક તપાસમાં યુવકનું નામ પ્રવિણ કુંભાભાઈ પરમાર (ઉ.વ. અંદાજે 35) હોવાનું બહાર આવ્યું છે. મૃતક પ્રવિણ મૂળ રાપર તાલુકાના પ્રાગપરનો વતની હતો અને છેલ્લાં ઘણાં સમયથી તે અંજાર નજીક વીડી બગીચા પાસે બેન્સામાં કામ કરતો હતો. અગાઉ પ્રવિણ પથ્થરના ભેડીયા પર કામ કરતો હતો. ઘટના અંગે કચ્છખબર સાથે વાત કરતાં અંજાર પીઆઈ બી.આર.પરમારે જણાવ્યું કે, યુવકની લાશનું પંચનામું કરી પીએમ માટે હોસ્પિટલે મોકલી અપાઈ છે. હત્યા કેસમાં સંડોવાયેલાં શખ્સો પણ ઝડપથી રાઉન્ડ અપ થઈ જવાની શક્યતા છે.
Share it on
|